Book Name: ત્રિષષ્ટીય દેશના Author: કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂ મ. સા.
"અઢાર દોષ રહિત અને અઢાર પ્રકારના બ્રહ્મચર્યને ધારણ કરનારા પુરુષોને ધ્યાન કરવા યોગ્ય એવા અઢારમા તીર્થંકરને મારો નમસ્કાર થાઓ. હે તીર્થનાથ! જેવી રીતે તમે ગર્ભમાંથીજ ત્રણ જ્ઞાન ધારણ કરો છો, તેવી રીતેજ આ ત્રણ જગત્ ને પણ ધારણ કરો છો. હે સ્વામી! રાગ દ્વેષાદિ તસ્કરો મોહરૂપ અવસ્વાપિની નિદ્રા મૂકીને આ ત્રણ જગત્ ને લાંબા વખતથી લુંટી લે છે, માટે હવે સત્વર તેની રક્ષા કરો. હે નાથ! જેમ શ્રાંત લઈ ગયેલાઓ રથને, તૃષાતુરો નદીને, તાપથી તપેલાઓ વૃક્ષની છાયાને, ડુબી જતાઓ વહાણને, રોગીઓ ઔષધને, અંધકારથી અંધ થયેલાઓ દીપકને, અન્ધકારથી પીડિત થયેલાઓ સૂર્યને, માર્ગ ભૂલી ગયેલાઓ ભોમીઆને અને વ્યાઘ્રથી ભય પામેલાઓ અગ્નિને પ્રાપ્ત કરે; તેમ અનાથપણાને લીધે ઘણા કાળથી વિધુર થઈ ગયેલા અમોએ અત્યારે તમારા જેવા તીર્થપતિ નાથને પ્રાપ્ત કરેલા છે. તમારા જેવા સ્વામીને પ્રાપ્ત કરી આ સુર, અસુર અને મનુષ્યો હર્ષથી ન સમાતા હોય તેમ પોતપોતાના સ્થાનથી અહીં આવે છે. હે નાથ! હું તમારી પાસે બીજું કાંઈ પણ માગતો નથી, માત્ર એટલુંજ માગું છું કે તમે ભવોભવ મારા નાથ થજો."
|