|
આવકવેરા કાયદાની કલમ 11(1) અનુસાર ધર્માદા અથવા ધાર્મિક હેતુસર ધારણ કરેલ મિલકતમાંથી જાહેર ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થાને ઉદભવતી આવક નીચે જણાવેલ જોગવાઈઓ અનુસાર કરમુક્ત ગણવામાં આવશે. એટલે કે તેની આવક ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થાની કુલ કરપાત્ર આવકમાં ગણતરીમાં લેવાશે નહીં.
(અ) સંપૂર્ણપણે ધાર્માદા કે ધાર્મિક હેતુસર ધારણ કરેલ મિલકતમાંથી ઉદ્ભવતી કુલ આવકના ઓછામાં ઓછી 85 ટકા જેટલી રકમ જે તે હિસાબી વર્ષ દરમિયાન તેના હેતુસર ભારતમાં વાપરેલી હોવી જોઈએ. બીજા શબ્દોમાં તેવી કુલ આવકના ફક્ત 15 ટકા સુધીની જ રકમ ભવિષ્યના વર્ષોમાં ટ્રસ્ટ કે સંસ્થાના હેતુસર વાપરવા માટે અલગ રાખી શકાશે કે ભેગી કરી શકાશે. (રૂપિયા 100ની આવક હોય તો રૂપિયા 85 વાપરી નાંખવાના રહેશે.)
(બ) અંશતઃધર્માદા કે ધાર્મિક હેતુસર ધારણ કરેલ મિલકતમાંથી પાછલા વર્ષની કુલ આવકની ઓછામાં ઓછી 85 ટકા જેટલી રકમ તે જ વર્ષ દરિમાયન ટ્રસ્ટના કે સંસ્થાના હેતુસર ભારતમાં વાપરેલી હોવી જોઈએ. જો કે, આવું અંશતઃધર્માદા કે ધાર્મિક હેતુસર સ્થાપાયેલ ટ્રસ્ટ કે સંસ્થા તા. 01-4-1962 પહેલા એટલે કે આવકવેરાના કાયદો અમલમાં આવ્યો તે અગાઉ અસ્તિત્વમાં આવેલ હોવા જોઈએ. આમ તા. 1-4-1962 પછીના તમામ આવા ટ્રસ્ટો/સંસ્થાઓ પુરેપુરા ધર્માદા અથવા પુરેપુરા ધાર્મિક હેતુસર સ્થપાય તે જરૂરી છે. અંશતઃ નહી.
(1) ટ્રસ્ટ કે સંસ્થાની કુલ આવકના કે તેનો કોઈ ભાગ પાછલા વર્ષ દરમિયાન ખરેખર મળી ન હોય તો તેવી આવક અને તેથી ઉપર જણાવેલ 85 ટકા સુધીની આવકની રકમ પાછલા વર્ષ દરમિયાન વાપરી ન શકાય તો તેવી બાકીની રકમ જે વર્ષમાં ખરેખર પ્રાપ્ત થાય, તે વર્ષમાં અથવા ત્યાર પછીના વર્ષમાં ટ્રસ્ટના હેતુસર વાપરવાથી કરમુક્તિનો લાભ અગાઉના વર્ષ માટે આપવામાં આવે છે. તેમજ,
(2) જો અન્ય કોઈ કારણસર ઉપર જણાવેલ 85 ટકા જેટલી રકમ જે તે વર્ષ દરમિયાન હેતુસર વાપરી ન શકાય તો ત્યાર પછીના તુરતના વર્ષમાં તેવી રકમ ટ્રસ્ટના હેતુસર વાપરવાથી અગાઉના વર્ષ સંબંધી કરમુક્તિનો લાભ આપવામાં આવે છે.
જો કે, આ બાબતે ટ્રસ્ટ કે સંસ્થાએ આકારણી અધિકારીને પોતાના કેસમાં આવકવેરાનું પત્રક ભરવાની નિયત તારીખ અગાઉ ઉપર મુજબના વિકલ્પનું પાલન કરવા સંબંધી લેખિત જાણ કરવાની રહેશે. વધુમાં, આ રીતે ત્યાર પછીના વર્ષોમાં ઉપરોક્ત વિકલ્પના આધારે વાપરેલી રકમ જે તે પછીના વર્ષના સંદર્ભમાં તેવા વર્ષની આવકના વપરાશ તરીકે ગણતરીમાં લેવામાં આવશે.
વધુમાં, આવકવેરા કાયદાની કલમ 11(1બી) માં જણાવ્યા પ્રમાણે ઉપર મુજબના વિકલ્પનું પાલન ત્યાર પછીના વર્ષમાં કરવામાં કસુર થાય તો તેવી આવક જે તે વર્ષની સમય મર્યાદા પૂરી થતાં પછીના વર્ષની આવક તરીકે ગણી લેવામાં આવશે.
ટ્રસ્ટ કે સંસ્થાઓએ જે તે આકરણી વર્ષની તા. 31મી ઓક્ટોબર સુધીમાં તેમનું આવકવેરાનું રીટર્ન રજુ કરવાનું હોય છે. |